પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શહેબાઝ શરીફ અત્યારે પોતાના પહેલા વિદેશ પ્રવાસે સાઉદી અરબમાં છે. જો કે કાશ્મીર મુદ્દે સાઉદી અરબે પાકિસ્તાનને ઝટકો આપી દીધો છે. વાતચીતમાં સાઉદીએ સ્પષ્ટ કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ સાથે જ સાઉદીએ પીએમ શહેબાઝને સલાહ આપી કે તે ભારત સાથે વાતચીત કરીને તેનો ઉકેલ લાવે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે નિવેદનમાં કાશ્મીર સહિત અન્ય બાકી મુદ્દાઓને ઉકેલવા માટે નવી દિલ્હી અને ઈસ્લામાબાદની વચ્ચે વાતચીતના મહત્ત્વ પર જોર આપ્યુ. 

કાશ્મીર સહિત ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા

આ વાત એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવી જે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સાઉદી શાસક પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વચ્ચે મક્કાના અલ-સફા પેલેસમાં થયેલી એક સત્તાવાર બેઠકના એક દિવસ બાદ જારી કરવામાં આવી. નિવેદન અનુસાર તેમની ચર્ચા સાઉદી અરબ અને પાકિસ્તાનની વચ્ચે ભાઈચારાના સંબંધોને મજબૂત કરવા તથા વિભિન્ન ક્ષેત્રે સહયોગ વધારવાના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહી. નિવેદનમાં કહેવામાં આવ્યુ કે તેમણે કાશ્મીર સહિત ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીત

બંને પક્ષોએ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે બંને દેશોની વચ્ચે બાકી મુદ્દા, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાન અને ભારતની વચ્ચે વાતચીતના મહત્ત્વ પર જોર આપ્યું. નવી દિલ્હીનું હંમેશા એ વલણ રહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો એક દ્વિપક્ષીય મુદ્દો છે તેથી કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો કોઈ પ્રશ્ન જ નથી. 

નવી દિલ્હી અને રિયાધની વચ્ચે સંબંધ

જ્યારે ભારત અને પાકિસ્તાન બંનેના સાઉદી અરબ સહિત અરબ દેશોની સાથે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધ છે. નવી દિલ્હી અને રિયાધની વચ્ચે સંબંધોમાં ખૂબ સુધારો થયો છે. સાઉદી અરબે જમ્મુ-કાશ્મીર પર સંતુલિત વલણ બનાવ્યું છે જ્યારે કિંગડમે ઓગસ્ટ 2019માં ભારત દ્વારા કલમ 370ને રદ કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તેણે સ્પષ્ટ રીતે કાર્યોની નિંદા કરી નહોતી. તેના બદલે તેને નવી દિલ્હીનો આંતરિક મામલો ગણાવ્યો.

ભારતને મનાવવાનો આગ્રહ

2019માં પાકિસ્તાને અમેરિકાને કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન પર વાતચીત શરૂ કરવા માટે ભારતને મનાવવાનો આગ્રહ કર્યો. આ ત્યારે થયું જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે બંને દેશોની વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. જોકે, વિદેશ મંત્રી એસ જયશંકરે એ સ્પષ્ટ કરી દીધું હતું કે ‘આ મુદ્દે કોઈ પણ ચર્ચા જો જરૂરી થઈ તો માત્ર પાકિસ્તાનની સાથે અને માત્ર દ્વિપક્ષીય રૂપે થશે. ભારતે પાકિસ્તાનથી વારંવાર કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. ભારત પાકિસ્તાન સાથે આતંક, શત્રુતા અને હિંસા મુક્ત વાતાવરણમાં સામાન્ય પાડોશી સંબંધોની ઈચ્છા રાખે છે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *