નવી દિલ્હી,૧૦ એપ્રિલ,૨૦૨૪,બુધવાર
વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ સંક્રામક બીમારીથી વર્ષે ૧૩ લાખ અને રોજના ૩૫૦૦ લોકોના મોત થાય છે. ૧૮૭ દેશોના ડેટાનો અભ્યાસ કરતા માલૂમ પડયું છે કે વાયરલ હેપિટાઇટિસથી વર્ષ ૨૦૧૯માં ૧૧ લાખ લોકોના મુત્યુ થયા હતા જે ૨૦૨૨માં વધીને ૧૩ લાખ થયા છે. જેમાં ૮૩ ટકા મોત હેપેટાઇટિસ બી ના કારણે જયારે ૧૭ ટકા મોત માટે હેપેટાઇટિસ સી જવાબદાર છે.
હેપેટાઇટિસનો અર્થ લીવરમાં આવતો સોજો છે. જયારે લીવરમાં સોજો આવે છે ત્યારે તેની કાર્યક્ષમતા પર અસર થાય છે. શરાબ,વિષાકત ભોજન કેટલીક દવાઓના લીધે હેપટાઇટિસ થઇ શકે છે. જો કે હેપેટાઇટિસ મોટે ભાગે વાયરસના કારણે થાય છે. હેપેટાઇટિસથી પીડિત દર્દીની સૌથી મોટી વિટંબણાએ હોય છે તે સંક્રમિત છે એવું ધ્યાનમાં જ આવતું નથી. જેને હેપેટાઇટિસના લક્ષણો દેખાય છે તેમને તાવ, થાક, ઉલટી, પેટમાં દુખાવો, ઘાટા રંગનું યૂરિન થવું, સાંધાનો દુખાવો અની પીળિયા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.
હેપેટાઇટિસ બી અને સી ના સંક્રમણથી અંદાજે સામૂહિક રીતે બાંગ્લાદેશ, ચીન, ઇથિઓપિયા, ભારત, ઇન્ડોનેશિયા, નાઇજીરિયા, પાકિસ્તાન, ફિલીપાઇન્સ,રશિયા અને વિયેતનામમાં નોંધાયા છે. યુએનની હેલ્થ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૨૫ સુધીમાં આ ૧૦ દેશોમાં રોગનું સંક્રમણ અટકાવીને ઉપાયો કરવા સર્વાગિણ પ્રયાસો આવશ્યક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મહા નિર્દેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે પણ હેપેટાઇટિસના વધતા જતા કેસો અંગે ચિંતા વ્યકત કરી છે.