16 વર્ષના લગ્ન જીવનનો પત્નીની હત્યા કરી અંત આણ્યો
પરિવારજનોને હત્યાની માહિતી છુપાવી ખોટી રજૂઆત કરી
નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ
અમદાવાદમાં ભોજનમાં મીઠું વધારે પડતાં પતિએ પત્નીની હત્યા કરી છે. પત્નીનાં પરિવારજનોને સીધા હોસ્પિટલ બોલાવીને હત્યાને છુપાવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ફરિયાદીને શંકા જતા તેની બહેનનું કુદરતી મોત નહીં પણ હત્યા થઈ હોવાનું સામે આવતા નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
16 વર્ષના લગ્ન જીવનનો પત્નીની હત્યા કરી અંત આણ્યો
નારોલ પોલીસ કસ્ટડીમાં આવેલ હત્યારા પતિનું નામ સનુ ઉર્ફે સુનીલ ડામોર છે. જેણે 16 વર્ષના લગ્ન જીવનનો પત્નીની હત્યા કરી અંત આણ્યો છે. ઘટનાની વાત એમ છે કે પત્ની અનિલાએ 22 તારીખના રોજ મજૂરી પરથી પરત આવીને પતિ અને બાળકો માટે ભોજન બનાવ્યું હતું. જેમા પતિ સનુ ઉર્ફે સુનીલ ડામોરને જમવામાં મીઠું વધારે પડી જવાથી પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાદ પતિ સનુએ પત્ની અનિલાને મૂઢ માર માર્યો હતો. જેમાં પત્ની અનિલાને છાતીનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
પરિવારજનોને હત્યાની માહિતી છુપાવી ખોટી રજૂઆત કરી
પત્ની હત્યા બાદ હોસ્પિટલ પહોંચેલા પતિએ મૃતક અનિલાના પરિવારજનોને હત્યાની માહિતી છુપાવી ખોટી રજૂઆત કરી હતી. એટલે પોતે કરેલી હત્યા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મૃતકની બહેનને અનિલાના મોત અંગે શંકા જતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેમાં મૃતક અનિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા જે અંગે નારોલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં જમવામાં મીઠું વધારે પડવા જેવી સામાન્ય બાબતમાં પતિએ પત્ની હત્યા કરી પોતાના પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. જેમાં પોતે જેલ વાસ ભોગવશે પરંતુ તેના ત્રણ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી સજા આજીવન ભોગવશે.