જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો નમૂનો : સરદારપરાની કન્યા છાત્રાલયથી માર્કેટ સુધીના રસ્તા પર વરસાદ બાદ જમીનમાં પાણી ઉતરતા લોલમલોલ સામે આવ્યું
જૂનાગઢ, : જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટર, ગેસની લાઈન, પાણીની લાઈનના આડેેધડ કરવામાં આવતા કામના કારણે પ્રજાના કરોડો રૂપીયાનો ખર્ચ નિષ્ફળ જઈ રહ્યો છે. શહેરના સરદારપરામાં આવેલી કન્યા છાત્રાલયથી માર્કેટ સુધીનો રસ્તો 1 કરોડથી વધુના ખર્ચે સવા મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. રસ્તામાં પોલાણ રહી ગયંુ હોવાથી મોટા ગાબડા અને ખાડાઓ પડવા લાગ્યા છે. શહેરમાં અનેક ઠેકાણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે. મનપાના પાણી પુરવઠા અને બાંધકામ શાખાના સંકલનના અભાવે અનેક નવા રસ્તાઓ તોડવા પડી રહ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓની કામગીરી દરમ્યાન જે ધ્યાન રાખવાનું હતું તે ધ્યાન ન રાખવાના કારણે એક કરોડ રૂપીયાના ખર્ચે બનાવેલો નવા ડામર રોડમાં ખાડાઓ પડવા લાગ્યા છે. સરદારપરાથી માર્કેટ સુધીના રોડ પર ભુગર્ભ ગટર તથા પાણીની લાઈનની કામગીરી કરવામાં આવી હતી. આ બંને કામગીરી પૂર્ણ થયા બાદ એક માસ પહેલા ત્યાં ડામર રોડ બનાવ્યો હતો. ડામર રસ્તો બનાવતા પહેલા ભુગર્ભ ગટર અને પાણીની લાઈનના કારણે રસ્તાઓનું ખોદાણ થયું હતું ત્યાં જોઈએ તેવું પુરાણ કરવામાં ન આવ્યું અને ત્યાં પોલાણ રહી ગયું હોવાથી વરસાદી પાણી જમીનમાં ઉતરી જતા રસ્તો બેસી જવા લાગ્યો છે. આઠ ઈંચનો રસ્તો બનાવવામાં આવ્યો તે ૧૦ ઈંચ જેટલો બેસી જતા મનપાની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
ભુગર્ભ ગટર ફેઇઝ-1 અને 2નું 700 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કાનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ જે નવા રસ્તા બનાવવામાં આવે ત્યાં આડેધડ મશીનરીઓ વડે કામગીરી કરવામાં આવતી હોવાથી જમીનમાં નાખવામાં આવેલા ભુગર્ભ ગટરના પાઈપ અને જગ્યાએ દબાઈને તુટી જાય છે અથવા તેમાં કાંકરી ઘુસી જતી હોવાથી ગટર બ્લોક થઈ જવાથી મોટી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસના નગરસેવક લલીત પણસારાએ કમિશનરને રજુઆત કરી છે કે, વોર્ડ નં-૪ અને ૬માં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં નવા રોડ બન્યા ત્યાં ૪૦થી ૪પ સ્થળો પર ગટર ભરાઈ જવાના કારણે નવા નકોર સીસી રોડ તોડવાની ફરજ પડી છે. જેમાં મુરલીધર સોસાયટી, બાપુનગર, ગંગોત્રીનગર, હનુમાનપરા, હરસિધ્ધીનગર સહિતના અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ છે. નવા નકોર તોડેલા રસ્તાઓ ફરીવાર રિપેરીંગ કરવામાં આવ્યા નથી. આવી રીતે અનેક પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે.
ભુગર્ભ ગટરની કામગીરી થઈ ગયા બાદ જ્યાં રસ્તાઓ બની ગયા છે ત્યાં ગટરની મેનોલ ચેમ્બર ખોલી તપાસ કરવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિ ખુલ્લી પડી જાય તેમ છે. ત્યારબાદ જે એજન્સીઓએ બેદરકારી દાખવી હોય તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે જેથી પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસાનું ધોવાણ થતું બંધ થાય તેવી માંગ ઉઠી છે.