મામલતદારે ટોળા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી કાંકરીચાળો થતા ચેમ્બર પ્રમુખ અને તેના પુત્રને ઇજા થતાં શહેર થોડીવાર બંધ રહ્યું, સ્વૈચ્છિક રીતે દબાણ દૂર થતું હતું ત્યારે મામલો બીચકયો
કોડીનાર, : કોડીનારમાં છેલ્લા થોડા દિવસથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે પૂર્વ સાંસદની ઓફીસ પાસે દબાણ દૂર કરવાની કામગીરી થતી હતી. ઓફીસ પાસે ઓટલા ખસેડવા સ્વૈચ્છિક રીતે કામ ચાલી રહ્યું હતું. ત્યારે ટોળા સામસામે આવી ગયા હતા અને મામલો તંગ બન્યો હતો. આ દરમ્યાન કાંકરીચાળો થયો હતો અને તેમાં ચેમ્બર પ્રમુખ અને તેના પુત્રને ઇજા થતાં શહેર થોડીવાર માટે બંધ રહ્યું હતું. બાદમાં બજાર ખુલી ગઈ હતી. આ મામલે મામલતદારે આઠ વ્યક્તિ સહિતના 200 લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે પૂર્વ સાંસદના ટેકેદારો સામે હુમલો કર્યાની લેખિત અરજી આપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ બે દિવસ પહેલા ગીર સોમનાથ કલેકટરે કોડીનારની મુલાકાત લીધી હતી અને કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પરના ઓટલા અને છજાના દબાણ દૂર કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને કોડીનાર ન.પા. દ્વારા ટ્રાફીકને અડચણરૂપ લારી ગલ્લા દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ નાના વેપારીઓને ટાર્ગેટ બનાવવાના બદલે પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીની ઓફીસ સામેના ઓટલાનું દબાણ દૂર કરવા કલેકટરને રજુઆત કરી હતી.
જેના અનુસંધાને ગતરાત્રે ઉના પ્રાંત અધિકારીએ કોડીનારના મહેશભાઈ મકવાણાને ફોન કરી આવતીકાલે તા. 13ના દિનુભાઈ સોલંકીની ઓફીસ પાસેનું દબાણ દૂર કરવાનું હોવાથી સ્થળ પર હાજર રહેવા જણાવ્યું હતું જેથી મહેશભાઈ મકવાણા સવારે ત્યાં પહોંચ્યા હતા. તંત્રનો સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે પૂર્વ સાંસદની ઓફીસ પાસેના ઓટલાનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
આ સમયે ત્યારે બે પક્ષના ટોળા સામસામે આવી ગયા હતા અને મામલતદાર, પી.આઈ., પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ ત્યાં હાજર હતો. ત્યારે મહેશભાઈ મકવાણા, હરેશભાઇ દમણીયા, રમેશભાઇ વીરાભાઈ ચુડાસમા સહિતનાઓએ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હોવા છતાં તંત્રની કામગીરીમાં અડચણરૂપ બની ફરજમાં રૂકાવટ કરી હતી.
બાદમાં ટોળામાંથી કોઈએ કાંકરીચાળો કરતા માથાકૂટ થઈ હતી. જેમાં ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિઠલાણી અને તેના પુત્રને ઇજા થઇ હતી. આ બનાવ બાદ વાતાવરણ તંગ બન્યું હતું અને દુકાનો બંધ થઈ હતી. થોડીવાર બાદ બજાર ખુલી ગઈ હતી.
આ સમગ્ર મામલે કોડીનાર મામલતદાર એન.ડી. રાદડિયાએ મહેશભાઈ મકવાણા, હરેશભાઇ દમણીયા, રમેશ વિરાભાઈ ચુડાસમા, મહેશ પીઠા કામળીયા, રફીક સુલેમાન સેલોત, મહેબૂબ કમાળીયા, મુકેશ કામળીયા, બકાલી અને ૨૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ ન.પા.ના સ્ટાફની કામગીરીમાં અડચણ ઉભી કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દબાણ દુર કરવાની કાર્યવાહી દરમ્યાન તંગદિલી થયાની બાબતથી કોડીનારમાં ચકચાર વ્યાપી ગઈ હતી.
સામા પક્ષે પૂર્વ સાંસદનો ટેકેદારો સામે પોલીસને અરજી
મામલતદારે મહેશભાઈ જેઠાભાઈ મકવાણા સહિત આઠ વ્યક્તિ તેમજ 200 લોકોના ટોળા સામે દબાણ હટાવની કામગીરીમાં અડચણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. તો સામા પક્ષે મહેશભાઈ મકવાણાએ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના ટેકેદાર સુભાષ ડોડીયા, ભગવાનભાઈ પરમાર, માનસિંગભાઈ ચૌહાણ, દિલીપ મોરી, હરીભાઈ વિઠ્ઠલાણી, બાલુભાઈ જાદવ, પ્રકાશ ડોડીયા સહિતના 30થી 40 લોકોના ટોળા સામે પથ્થર મારો કરી બે તોલાનો સોનાનો ચેઈન લુંટી ગયાની તેમજ જીજ્ઞોશ મેવાણીના લેટરપેડ પરનો કાગળ ઝુંટવી લઈ ફાડી નાખ્યો હતો તેમજ જ્ઞાાતિ પ્રત્યે અપમાનીત કર્યાની પોલીસને અરજી કરી છે.