Delhi Water Crisis | પાડોશી રાજ્યો પાસેથી વધુ પાણીની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપવાનો જ ઈન્કાર કરી દીધો છે અને આ મામલે નિર્ણય અપર યમુના રિવર બોર્ડ (UYRB) પર છોડી દીધો છે. કોર્ટે કહ્યું કે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીનો મુદ્દો જટિલ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશે પણ વધારાનું પાણી મોકલવાના અગાઉના નિવેદનને પાછું ખેંચ્યું અને કહ્યું કે અમારી પાસે વધારાનું પાણી નથી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું? 

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પ્રસન્ના બી વરાલેની બેન્ચે કહ્યું કે રાજ્યો વચ્ચે યમુનાના પાણીની વહેંચણી એ એક જટિલ વિષય છે અને આ મામલે કોર્ટ પાસે ટેક્નિકલ કુશળતા નથી. આ મુદ્દો UYRB પર છોડી દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે UYRBને શુક્રવારે તમામ પક્ષકારોની બેઠક બોલાવવા અને આ મુદ્દે ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું. કોર્ટે દિલ્હી સરકારને માનવતાના આધાર પર વિચારણા માટે સાંજે 5 વાગ્યા સુધીમાં બોર્ડ સમક્ષ અરજી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હિમાચલે પણ હાથ અધ્ધર કર્યા 

દિલ્હી માટે વધારાનું 136 ક્યુસેક પાણી આપવાનું વચન આપનારી હિમાચલ સરકારે પણ હાથ પાછા ખેંચી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે હિમાચલ પ્રદેશે તેનું અગાઉનું નિવેદન પાછું ખેંચ્યું હતું અને કહ્યું કે અમારી પાસે વધારાનું 136 ક્યુસેક પાણી નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે હરિયાણાને હિમાચલમાંથી છોડવામાં આવતા વધારાના પાણીને દિલ્હી સુધી વિના અવરોધે પહોંચવા દેવાનું કહેવામાં આવે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી સરકારનો આરોપ છે કે હરિયાણા યમુનામાં ઓછું પાણી છોડી રહ્યું છે જેના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ઘટી ગઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *