અમદાવાદ,શુક્રવાર,7 જુન,2024
અમદાવાદમાંથી પ્રતિ વર્ષે નીકળતી રથયાત્રાના રુટ ઉપર આવેલા
ભયજનક મકાનનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વે કરવામા આવ્યો છે.મધ્યઝોનમાં
રથયાત્રાના રુટ ઉપર દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ ૧૫૦ ભયજનક મકાન આવેલા છે.ઉપરાંત
ખાડીયા વોર્ડમાં ૧૧૧ ભયજનક મકાન આવેલા છે.ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી
લેવા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદમાં આગામી મહિને જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે.દરમિયાન મ્યુનિસિપલ
કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શાહીબાગ ઉપરાંત દરિયાપુર, શાહપુર અને
ખાડીયા વોર્ડમાં રથયાત્રા રુટ ઉપર આવેલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગ અંગે સર્વે
કરીને તેને ઉતારી લેવા અંગે નોટિસ આપવામા
આવી છે.રથયાત્રાના રુટ ઉપર દર વર્ષે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ તરફથી ભયજનક મકાનનો
સર્વે કરીને નોટિસ આપવામા આવે છે.પરંતુ મોટાભાગના કીસ્સામાં મકાન માલિક અને
ભાડુઆતના વિવાદને લઈ ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારવા અંગેની કોઈ કામગીરી
થતી હોતી નથી.વર્ષ-૨૦૨૩માં રથયાત્રાના રુટ ઉપર આવેલા દરિયાપુરના એક મકાનની ગેલેરી
ધરાશાયી થઈ હતી. એક વર્ષ બાદ એસ્ટેટ વિભાગે આ મકાનના ભયજનક મકાનના ભાગને ઉતારવાની
કામગીરી પુરી કરવી પડી છે.
ભયજનક મકાન અંગે કયાં-કેટલી નોટિસ અપાઈ
વોર્ડ નોટિસ
અસારવા ૦૩
શાહીબાગ ૦૮
દરિયાપુર ૧૫૦
શાહપુર ૦૪
ખાડીયા ૧૧૧
જમાલપુર ૧૨