Public Servant’s Wife also Accused For Bribe: મદ્રાસ હાઈકોર્ટે સરકારી કર્મચારીની પત્નિની તેના પતિ વિરૂદ્ધ ચાલતાં લાંચના કેસમાં આરોપી ઠેરવવા વિરૂદ્ધ દાખલ અરજીને ફગાવી છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચર ઘરથી જ શરૂ થાય છે. જેમાં પત્નિ પણ આ ગુનામાં એટલી જ ભાગીદાર છે.
જસ્ટિસ કે કે રામક્રિશ્નને તિરુચીમાં ભ્રષ્ટાચાર નિવારણ કેસોની વિશેષ અદાલત દ્વારા દેવનાયકીને 2017માં તેમના પતિ ભૂતપૂર્વ સબ-ઈન્સ્પેક્ટર શક્તિવેલ સામે દાખલ કરવામાં આવેલા કેસમાં આપવામાં આવેલી એક વર્ષની જેલની સજાને માફ કરવાનો ઇનકાર કર્યો હતો. શક્તિવેલનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થતાં તેની પત્નીને દોષિત ઠેરવવામાં આવી હતી. અને સજા ભોગવવા આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે કહ્યું હતું કે, પત્નિની ફરજ છે કે, તે તેના પતિને લાંચ લેતાં, ભ્રષ્ટાચાર કરતાં અટકાવે, જો પત્નિ આ ભ્રષ્ટાચારમાં ભાગ લે તો તેનો ક્યારેય અંત આવતો નથી.
કોર્ટે અવલોકન કર્યું કે તિરુચી ડીવીએસી પોલીસે શક્તિવેલ અને તેની પત્ની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમના આવકના સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ એકઠા કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે, જાન્યુઆરી, 1992થી 31 ડિસેમ્બર, 1996 દરમિયાન અંદાજિત રૂ. 6.77 લાખ સંપત્તિ ધરાવતા હતા. કેસની ટ્રાયલ દરમિયાન જ શક્તિવેલનું અવસાન થયું હતું. કોર્ટે તેની પત્નીને દોષિત ઠેરવીને એક વર્ષની કેદની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
જેનો વિરોધ કરતાં તેના વકીલે મદ્રાસ હાઈકોર્ટને કરેલી અપીલમાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા તેની સંપત્તિ તેની આવક કરતાં વધુ હોવાનું સાબિત કરનારા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી. પરંતુ હાઇકોર્ટે દલીલો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેને દોષિત ઠેરવી ટ્રાયલ જજ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અનામત રાખ્યો હતો. જામીન આપવાની અરજી ફગાવી હતી.