અમદાવાદ, રવિવાર
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇએ ગઇકાલે સવારે ઇન્સપેક્ટર સામે આક્ષેપ કર્યા છે કે પીઆઇ દ્વારા સતત ત્રાસ અપાતો હોવાના કારણે તેમને આપઘાત કરવાના વિચારો આવે છે. તેમજ તેના લીધે રાજીનામુ આપવાનો વિચાર કર્યો છે. તો બીજીતરફ ગઇકાલે રાતે બીજા પીએસઆઇએ પણ પોલીસ ઇન્સ્પેકટર ત્રાસ આપતા હોવાનો મેસેજ પોલીસ કન્ટ્રોલ રૃમમાં કર્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગંભીર નોંધ લઈને બન્ને પીએસઆઇના નિવેદનો લઇને તપાસ હાથ ધરી
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.બી.શિયાળ તા. ૯ એપ્રિલથી તેઓ ઇન્વે સ્કોડમાં સુપરવિઝનમાં ફરજ બજાવે છે. જેમાં પીએસઆઇએ પોતાના પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી.જાટ હેરાનગતિ કરીને ત્રાસ આપતા હોવાનો પત્ર પોલીસ કમિશ્નર કચેરી તેમજ ગૃહવિભાગને મોકલ્યો છે. તેને લઇને તેઓ રાજીનામું આપી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પીઆઇ પીએસઆઇને જાહેરમાં ગાળો બોલીને ત્રાસ આપે છે. તેમજ અન્ય સાતથી આઠ પોલીસકર્મીઓને પણ હેરાન કરતા હોવાનો આરોપ મૂક્યો છે.
બીજીતરફ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બીજા પીએસઆઇ યાદવે પણ પોતાને પીઆઇ ત્રાસ આપતા હોવાનો ગઇકાલે રાતે પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોેન કર્યો હતો. આ બનાવની ગંભીર નોંધ લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પીઆઇ તથા બન્ને પીએસઆઇના નિવેદનો લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે તપાસ બાદ સત્ય કહીકત બહાર આવશે.