Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહીં છત્તીસગઢના બસ્તરની લોકસભા બેઠક પર મતદાન વખતે જ બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા આઈઆઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં સીઆરપીએફના અધિકારી ઘાયલ થયા હતા. 

મણિપુરમાં બની ફાયરિંગની ઘટના 

બીજી બાજુ મણિપુરમાં ઈનર મણિપુર તથા આઉટર મણિપુર એમ બે મતવિસ્તારોમાં શુક્રવારે મતદાન યોજાયું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આ મતદાન વખતે કેટલાક અજાણ્યાં તત્વોએ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને અરાજકતા ફેલાવી હતી. આ ઘટના થામનપોકપી ખાતે બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

છત્તીસગઢમાં એક વર્ષમાં 80 નક્સલ ઠાર

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં નક્સલવાદનો ખાતમો કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં વર્ષે 2024માં અત્યાર સુધીમાં 80 નક્સલીઓ માર્યા ગયા છે અને 125થી વધુની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 150 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. બે દિવસ પહેલા જ સુરક્ષાદળો સાથેની અથડામણમાં 29 નક્સલીઓ ઠાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2004-14ની સરખામણીમાં 2014-23માં દેશમાં ઉગ્રવાદને લગતી હિંસામાં 52 ટકાનો ઘટાડો થયો છે. 

આ પણ વાંચો: 11 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં જ્યારે સૌથી વધુ ત્રિપુરામાં

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *